સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

Share it via

આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ

કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમતળ ઢાળે
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ

ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લિયે ને સૌરભ સારે.
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

Leave a Comment

error: Content is protected !!