શ્રાવણ નીતર્યો – બાલમુકુંદ દવે

Share it via

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી
આ કપૂર-કાયા સારી જશે કોઈ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી
આ જળધારમાં ઝૂલતી કોઈ ઝીલો જી.
પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી
આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળી હો કોઈ ઝીલો જી
આ દુધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી
આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી

બાલમુકુંદ દવે (07-03-1916 – 28-02-1993)
(બાલમુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તપુરામાં, અમદાવાદમાં સ્થિર થયા, ‘પરિક્રમા’ અને ‘કુંતલ’ એમના કાવ્યસંગ્રહો. ‘જૂનું ઘર ખાલી કરતાં’ ગુજરાતી સાહિત્યનું બેનમૂન સોનેટ.)

Leave a Comment

error: Content is protected !!