શંકર નહીં આવે – જલન માતરી

Share it via

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે

છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે

ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચી પી નાખો
જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.

જલન માતરી

Leave a Comment

error: Content is protected !!